Valsad : વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં ૧૪૦૩૪ કેસનો નિકાલ, રૂ.૧૦.૯૬ કરોડનું સમાધાન કરાયું
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન
વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અદાલતોમાં પેન્ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા વિગેરે મળી કુલ- ૧૬૯૭ કેસો લોક અદાલતનાં મુકવામાં આવ્યા હતા. સ્પેશ્યલ સીટીંગ ઓફ મેજીસ્ટ્રેટમાં ફક્ત દંડ ભરી નિકાલ થઇ શકે તેવા ફોજદારી કેસો કુલ ૮૬૫૦ મુકવામાં આવ્યા હતા. બેન્ક-ફાયનાન્સ કંપનીનાં વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ ૧૬,૨૧૬ પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા. જે પૈકી લોક અદાલતમાં સમાધાનપાત્ર પેન્ડિંગ કુલ ૭૭૮ કેસો, સ્પેશ્યલ સીટીંગ કેસો કુલ ૭૦૨૨ અને પ્રિ- લીટીગેશનનાં કુલ ૬૨૩૪ મળી કુલ ૧૪૦૩૪ કેસો નિકાલ કરવામાં આવ્યા હતા, જેમાં કુલ રૂ. ૧૦,૯૬,૯૯,૨૭૫/-નું સમાધાન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો, તેમજ વકીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ લોક અદાલતને સફળ બનાવી હતી.
M
Comments
Post a Comment